આ નિમિત્તે ઊંઝામાં યોજાનાર લક્ષ્ય એક્સ્પો ઔધોગિક વેપાર પ્રદશની માટે મોરબી સીરામીક એસોસિએશનનો સહયોગ મળ્યો મોરબી : ઊંઝા ખાતે આવતા મહિને આયોજિત લક્ષ્યચંડી મહાયજ્ઞ મહોત્સવના અનુસંધાને રવિવારે મોરબીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્યચંડી મહાયજ્ઞના મુખ્ય દાતા એવા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ મહાયજ્ઞ માટે મોરબી સીરામીક એસોસિએશનનો સહયોગ પણ જાહેર કરાયો હતો. ઊંઝા ખાતે ઉમિયા માતાના મંદિરે તારીખ 18થી 22 ડિસેમ્બર દરમ્યાન લક્ષયચંડી મહાયજ્ઞનું ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત તમામ પ્રાંતોમાં આખરી રૂપરેખા ઘડી કાઢવા માટે મિટિંગો યોજાઈ રહી છે, ત્યારે આ બાબતે મોરબીમાં પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહાયજ્ઞના મુખ્ય દાતા એવા ગોવિંદભાઇ વરમોરાનું મોરબી શહેરની તમામ પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગોવિંદભાઇએ સમાજના તમામ ભાવિકોને મહાયજ્ઞની તૈયારીમાં લાગી જવાનું આહવાન કર્યું હતું. અન્ય એક પ્રસંગે સીરામીક એસોસિએશન દ્વારા, મહાયજ્ઞ દરમ્યાન આયોજિત થનાર ઔધોગિક પ્રદશન લક્ષ્ય એક્સપો 2019 માટે સહયોગ આપવાનું નક્કી કરી સમગ્ર ડોમનું બુકીંગ કરવામાં આવ્યું હતું. આ તકે લક્ષયચંડી મહા યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા અને મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલે ઉપસ્થિત રહી સીરામીક એસોસિએશનને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. એક્સ્પોમાં ભાગ લઇ સહયોગ આપનાર તમામ ઉદ્યોગ સાહસિકોનો ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા અને ઔધોગિક વેપાર મેળા પ્રદર્શન કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.