વાંકાનેર : શહેરમાં પ્રોહીબિશનના એક કેસમાં રૂપિયા 50 હજારની લાંચ માંગવાના કેસમાં ફરાર પોલીસ હેડ કોન્સ્ટેબલને પૂર્વ બાતમીના આધારે રાજકોટથી ઝડપી લેવાયો હતો. બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકના પ્રોહીબીશનના એક કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાએ 1 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂપિયા 75,000માં કેસ ન કરવાનું નક્કી થયા બાદ દારૂના કેસમાં સંડોવાયેલા વ્યક્તિ પાસેથી અગાઉ 25,000 મેળવી લીધા બાદ આ બનાવની ફરીયાદ મોરબી એ.સી.બી.માં થઈ હતી. વધુ 50,000ની લાંચ ચૂકવવા માટે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બાકીના 50 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલના વચેટિયા પ્રવીણ બાંભવાને એસીબી ટીમે આબાદ ઝડપી લીધા લીધો હતો. જયારે કિરીટસિંહ ઝાલા નાસી છૂટ્યો હતો. જેની શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા રાજકોટમાં તેના વકીલની ઓફીસે આગોતરા જામીન મેળવવા સહિતની સલાહ લેવા આવ્યો હોવાની પૂર્વ બાતમી મળતા મોરબી એસીબી ટીમે વોચ ગોઠવી વકીલની ઓફીસમાંથી બહાર નીકળતા સમયે પારસી અગિયારી નજીક ફૂલછાબ ચોકમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. એસીબી ટીમે કિરીટસિંહ ઝાલાને ઝડપી લઇ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતા પોલીસે તેની કાયદેસર ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.