રાજકોટમાં જામનગર રોડ ઉપર સાંઢિયાપુલ ઓવરબ્રિજ બંધ કરવામાં આવતા તમામ ઇન્ટરસીટી વાયા રૈયા રોડથી દોડવા લાગી મોરબી : મોરબીમાં એક પછી એક ઓવરબ્રિજની કામગીરીને લઇ એસટી તંત્રની ગાડી ગોથે ચડી હોય તેવા ઘાટ વચ્ચે હવે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર જર્જરિત સાંઢિયાપુલ ઓવરબ્રિજ ફોર લેન બનવવાની કામગીરી શરૂ થતા મોરબી રૂટ ઉપર ચાલતી તમામ ઇન્ટરસીટી બસને વાયા રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવતા આગામી એકાદ બે દિવસમાં જ રાજકોટ-મોરબી વચ્ચેના હયાત ભાડામાં રૂપિયા બેથી પાંચ સુધી વધારો કરવામાં આવે તેવા સંકેતો એસટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જામનગર રોડ ઉપર સદીઓ જૂનો સાંઢિયાપુલ જર્જરિત અવસ્થામાં મુકાતા હવે બ્રિજને નવીનીકરણ સાથે પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા રાજકોટ-મોરબી વચ્ચે દોડતી તમામ બસને વાયા હોસ્પિટલ ચોક,બજરંગ વાડીથી માધાપર ચોકડીને બદલે વાયા રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઈ માધાપર ચોકડી રૂટ ઉપર દોડાવવા નક્કી કરવામાં આવતા રાજકોટ-મોરબી રોડ ઉપર દોડતી તમામ બસના ભાડામાં એક સ્ટેજનું ભાડું વધારવામાં આવશે તેવું રાજકોટ ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ દ્વારા જણાવાયું છે. વધુમાં રાજકોટ ડેપો મેનેજર દ્વારા જણાવાયું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ તમામ બસને નક્કી કરેલા રૂટ ઉપર એટલે કે રાજકોટ ડેપોથી નીકળી, હોસ્પિટલ ચોક થઈ વાયા રૂડા બિલ્ડીંગથી રેષકોર્ષ ચોક, એરપોર્ટ રોડ અથવા રૈયા રોડથી બસ પસાર થશે અને શહેરના રસ્તામાં આવતા તમામ અગત્યના પોઇન્ટ ઉપર મુસાફરોને ચડવા -ઉતરવા માટે સ્ટોપેજ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.