દસ-દસ દિવસથી પાણીથી વંચિત વોર્ડ નંબર-9નો પાણી પ્રશ્ન ઉકેલવા મહિલા નગરસેવકની ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર - 9માં આવેલ ઋષભ સોસાયટીની પાણીની મુખ્ય લાઈનમાં અંતરાય ઉભા કરી નજીકમાં આવેલી ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ પાણી બંધ કરી દેતા છેલ્લા દસ દિવસથી પાણીથી વંચિત ઋષભ સોસાયટીને પાણી આપવાની માંગ સાથે આજે વોર્ડ-9ના મહિલા નગરસેવકે પાણી અટકાવનાર ઋષભ સોસાયટીના રહીશો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા લાંબા સમયથી મોરબી શહેરના વોર્ડ નંબર-9માં આવેલ ઋષભ સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટી વચ્ચે હલણનો પ્રશ્ન ઉપસ્થિત થતા ધર્મભૂમિ સોસાયટી દ્વારા એપ્રોચ માર્ગ બંધ કરી દાદાગીરી કરવામાં આવે છે આટલું ઓછું હોય તેવામાં છેલ્લા દસ દિવસથી ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ ઋષભ સોસાયટીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં વાલ્વ નાખી વાલ્વ પોઇન્ટ ઉપર સિમેન્ટ નાખી પાણી બંધ કરી દેતા ભર ઉનાળે ઋષભ સોસાયટીના રહેવાસીઓને પાણી વગર ટળવળવા મજબુર બનવું પડ્યું છે. બીજી તરફ પાણીના ગંભીર પ્રશ્ને આ વિસ્તારના જાગૃત મહિલા નગરસેવક કુંદનબેન માકાસણા સહિતના અગ્રણીઓ દ્વારા પાણીનો બંધ કરેલ વાલ્વ ખોલાવવા માટે જતા ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવી આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી તાકીદે પ્રશ્ન ઉકેલી પાણીથી વંચિત ઋષભ સોસાયટીને પાણી આપવા અને કાયદો હાથમાં લેનાર ધર્મભૂમિ સોસાયટીના રહીશો વિરુદ્ધ ફોજદારી પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.