એગ્રીસાયન્સ ન્યુઝ નેટવર્ક : છેલ્લા ઘણાં સમયથી ચણા અને રાયડામાં સતત તેજી જોવા મળી રહી છે. આમ તો કોરોના સંકટના કારણે મોટાભાગના તેલીબિયા અને કઠોળ પાકોના ભાવમાં સુધારાનો માહોલ છે પણ ચણા અને રાયડામાં તેજીની રફતાર થોડી વધારે છે. શનિવારે એનસીડીઇએકસ ઉપર ચણાના સપ્ટેમ્બર વાયદામાં રૂ.5100ની સપાટીથી ઉપર વેપાર થયો. એક મહિના પહેલા ચણાનો વાયદો રૂ.4200ની સપાટી આસપાસ હતો. આમ છેલ્લા એક મહિનામાં ચણાના ભાવમાં 20 ટકાનો જંગી વધારો નોંધાયો છે. હાજર બજારની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં હાલની સ્થિતિએ પ્રતિ મણ રૂ.1000ની સપાટીથી ઉપર ચણામાં વેપાર થતો જોવા મળી રહ્યો છે. આવી જ સ્થિતિ રાયડામાં પણ જોવા મળી છે. હાલ રાયડાના વાયદામાં રૂ.5300ની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. હાજર બજારમાં ઉત્તર ગુજરાતના યાર્ડોમાં પ્રતિ મણ રૂ.925થી રૂ.950ની સપાટી આસપાસ રાયડાના ભાવ જાવા મળી રહ્યા છે. ચણા અને રાયડો બન્ને દેશભરના મહત્વના શિયાળુ પાકો છે. ગુજરાતમાં તો આ બન્ને કૃષિ પેદાસોનું પ્રમાણમાં મધ્યમસર વાવેતર થાય છે. જોકે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં આ બન્ને કૃષિ પેદાસોનું વ્યાપક વાવેતર થાય છે. સામાન્ય રીતે આ બન્ને કૃષિ પેદાસોના ભાવમાં મોટી વધઘટ જોવા મળતી નથી. જોકે, આ સિઝનમાં બન્ને કૃષિ પેદાસોમાં વાવેતરના સમયે જ તેજી જોવા મળી છે. આગામી મહિનાથી આ બન્ને કૃષિ પેદાસોનું વાવેતર શરૂ થશે ત્યારે ભાવ ઉંચા હોવાથી ગત વર્ષની સરખામણીએ વાવેતર વધે એવી સંભાવના છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate