હળવદ : હળવદના રણજીતગઢ ગામે શ્રી નીલકંઠ વર્ણિરાજ દ્વારા પાવન થયેલ પ્રસાદીના તળાવના કાંઠે ભાદરવી અમાસનો 'દિવ્ય સમૈયો' ઉજવાયો હતો. જેમાં ધામોધામથી સંતો તથા સાંખ્યયોગી માતાઓ પધાર્યા હતા.સમૈયામાં સુંદર શોભાયાત્રા, સંતોના આશીર્વાદ, શ્રીહરિકૃષ્ણધામના શનિસભાના યુવાનો દ્વારા પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમ, ઠાકોરજીનું પૂજન, આરતી અને અભિષેક કરીને સૌ સંતો-ભક્તોએ પ્રસાદીના નીલકંઠ તળાવમાં સ્નાન કરવાનો તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન રણજીતગઢમાં તળાવને કાંઠે 'શિંગડીયો વછનાગ' નામક ઝેરી વનસ્પતિ જમ્યા. તેની સ્મૃતિમાં અ.નિ.પ.પૂ.સદ્.શા.શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીએ ભાદરવી અમાસના આ સમૈયાનું પ્રવર્તન કર્યું છે.આ સાથે જ આવનારા નવા વર્ષના નવલા દિવસોમાં શ્રીહરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા તા.10 થી 12 નવેમ્બર - 'દ્વિતીય ઘનશ્યામ બાલ-બાલિકા શિબિર', તા.15 થી 18 નવેમ્બર - 'સત્સંગ પર્વ-10' રૂપી શિબિર તથા તા.19 થી 21 નવેમ્બર - 'દ્વિતીય નીલકંઠ કિશોર-કિશોરી શિબિર'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે શ્રીહરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા સર્વેને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.