ટંકારા : રાજય સરકારે વર્ષ ૨૦૧૭ નો કપાસનો પાક વીમો હજૂ સુધી ન ચૂકવતા ગત ઑગસ્ટ માસમાં આરડીસી બેંકની સાધારણ સભામાં વીમો ચુકવવાના બણગા ફુક્નારા મુખ્યમંત્રી ખેડુતોની વેદના ભૂલી ગયા હોવાનો ટોણો તાલુકા પંચાયતના પ્રમુખે માર્યો હતો. ટંકારા પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ,ગત વિધાનસભા ચુંટણી પૂર્વે સરકારે મગફળીનો પાક વીમો ચુકવ્યો હતો અને કપાસનો બાકી રાખ્યો હતો. જેનું ચુકવણું ન થતાં ખેડૂતો વધુ નારાજ થયા છે. વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ટંકારા તાલુકામા ખેડુતોનો મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો હતો, પાક નિષ્ફળ જતા સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સરવે કરી નિષ્ફળ પાકનો વીમો ચૂકવવાની જોગવાઈ મુજબ એક વર્ષ પહેલા વીમો ચૂકવવાની જાહેરાત કરી દીધી હતી પરંતુ ખેડૂતોને હજુ સુધી વીમો મળેલ નથી. ગત વર્ષ ૨૦૧૬ ના ખેતીના પાક વિમામા માત્ર મગફળીનો જ વીમો ચુકવાયો હતો…અને ક્પાસનો વીમો ન ચુકવાતા ગામડાના ખેડુતોમા રોષ ચરમસીમાએ છે ટંકારાના ખેડુત મહાદેવભાઈ ખોખાણીના જણાવ્યા પ્રમાણે મગફળીનો પાક ચાર માસમાં તૈયાર થાય છે જયારે ક્પાસની સિઝન આઠ માસની હોય છે તો મગફળીનો વીમો ચુકવવામાં આવતો હોય તો કપાસનો પણ ચૂકવવો જ જોઈએ. આ અંગે ટંકારા તાલુકાપંચાયતના પ્રમુખ ભૂપેન્દ્ર ગોધાણી અને તાલુકા પંચાયતના કારોબારી સમીતીના ચેરમેન મધુબેન અશોકભાઈ સંઘાણીએ વર્તમાન સરકાર પ્રજાને હથેળીમા ચાંદ બતાવી વિકાસના બણગા ફૂક્નારી ગણાવી હતી.