ટંકારા : આજથી ત્રણેક વર્ષ પૂર્વે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 375 કરોડના ખર્ચે રાજકોટ-મોરબી હાઈવેને ચારમાર્ગીય બનાવવાની જાહેરાત કરી હતી. જે તે સમયે કામ તો શરૂ થઈ ગયું પણ ધીમે ધીમે કામમાં જોઈએ એવી ઝડપ ન રહેતા અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે હાલ આ કામ સ્થાનિકોની મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. કોવીડ 19થી ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિને લઈને પાછલા ઘણા સમયથી આ હાઇવે નિર્માણ કાર્યમાં બ્રેક લાગી હતી. લતીપર ચોકડી નજીક ચાલતા ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. માર્ગ પર ઠેર ઠેર મોટા ભુવા પડી જતા વાહન ચાલકો માટે હાલ જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને રાજકોટ-મોરબી રોડ પર નગરનાકા પાસે પડેલા ભુવા અત્યંત જોખમી બન્યા હોય આ ભુવા તાત્કાલિક રીપેર કરવાની સ્થાનિકોની માંગ પ્રબળ બની છે. ત્યારે હાલ આવનાર ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પણ કોન્ટ્રાક્ટર આ કાર્ય ઝડપથી પૂરું કરે એવી સ્થાનિકોની માંગણી પ્રબળ બની છે. [gallery ids='97490,97491']