વિધાનસભા ચૂંટણી આવતા ગ્રામજનોમાં રોષની લાગણી હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયતની તાજેતરમાં જ ચુંટણી થયેલ પણ ગામલોકોને આપેલ તમામ વાયદા પોકળ સાબિત થઈ રહ્યા હોય લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ગ્રામપંચાયતની ચુંટણીમાં ગામની નવી યુવા પેનલનો જંગી બહુમતીથી વિજય થયો. ગામમાં ઘણા વર્ષે પરિવર્તન આવશે અેવો ગ્રામજનોને હૈયે વિશ્વાસ હતો. યુવાનોને ગામની કમાન સોપતા પહેલા ગ્રામસભા ભરીને જીતેલા કે હારેલા ઉમેદવાર સભ્યોશ્રી તેમજ સરપંચશ્રીએ સાથે હળીમળીને ચા-પાણીના ડાયરા કરેલ જેમાં દરેક પક્ષના આગેવાનો તથા દરેક ગ્રામજનોઅે મોજથી ભેગા મળીને ચા-પાણી પીને 'ભારત માતાકી જય ' બોલાવી હતી. શું આ બધું ગામની એકતા અને અખંડિતતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે જ સૌ ભેગા થયા હતા...? સૌથી વધુ ગ્રાન્ટ ગામમાં લાવીશુ તેનુ શું થયું...? ' નહી વાદ કે નહી વિખવાદ ' આ સુત્રનું શું થયું..? તમામ સરકારી સુવિધા પુરી પાડીશું તેનું શું થયું...? ગામના યુવાધનને નશાખોરીના ત્રાસથી ઉગારશું તેનું શું...? આ પ્રશ્ન પ્રશ્ન બનીને જ રહી ગયા હોય તેમ શુન્ય અવકાશ છવાય ગયો છે. વિકાસની જનેતા મરી ગઈ હોય તેમ ગામમા શોકનુ વાતાવરણ છવાયું છે. આ અંગે ગામલોકોઅે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે તો અમારી વફાદારી મત આપીને પુર્ણ કરી આપી હજુ સમય છે આપ યુવા છો જાગો અને ધ્યેય તરફ આગળ વધો. આપણી જન્મભુમીનું રુણ અદા કરી વિકાસના કામો વેગવંતા બનાવીઅે તેવો નિર્ધાર કરીઅે. બાકી તો ' જણનારી (પંચાયત) માં જોર ન હોય તો સુયાણી (સરકાર) શું કરે..?