મોટી સંખ્યમાં ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચી પોતાની વ્યથા વ્યક્ત કરીટંકારા : ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી સહિતના ખેડૂતોના પ્રશ્નોને લઈને આજે તારીખ 13 ઓક્ટોબરને સોમવારના રોજ ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશમાં ખેડૂતોની આવક ડબલ કરવાના ખોખલા વચનો ચૂંટણી સમયે આપ્યા હતા, જેની સામે હકીકતમાં ખેતીના ખર્ચમાં અનેકગણો વધારો અને ઉપજના ભાવમાં ઘટાડાને કારણે ખેડૂતો આર્થિક સંકટની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. આ મુદ્દે આજે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પંથકના ખેડૂતોના હક્ક અને હિતમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશોક સંઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2013-14માં મગફળીનો મણ રૂ.1250નો હતો, જ્યારે હાલમાં ખુલ્લા બજારમાં તેનો ભાવ માત્ર રૂ.850 થી રૂ.1000 વચ્ચે રહ્યો છે. બીજી તરફ સોનાના ભાવ ચાર ગણાં વધી ગયા છે, છતાં ખેડૂતોની આવક વધવાને બદલે ઘટી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે સરકારે ટેકાના ભાવની ખરીદી પણ ઓછી માત્રામાં કરી છે, જેના કારણે દરેક ખેડૂતને આશરે રૂ.58,500નું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.કોંગ્રેસે માંગણી કરી છે કે, રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછા 300 મણ મગફળીની ખરીદી કરવામાં આવે અથવા ભાવ તફાવતની રકમ રૂ.1,35,000 સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે.આ પ્રસંગે કોંગ્રેસના મહામંત્રી દુષ્યંત ભૂત, વિપક્ષ નેતા ભુપત ગોધાણી જિલ્લા સંગઠનના કિશોર ચિખલિયા, મહેશ રાજકોટિયા સહિતના આગેવાનોના નેતૃત્વમાં ટંકારા મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ટંકારા પંથકના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.