આરોપી સામે તપાસ પૂર્ણ થઈ હોય જેલમાં રાખવા જરૂરી ન હોવાનું નોંધતી નામદાર સુપ્રીમ કોર્ટ મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના મેનેજરને જામીન મુકત કરવાના ઓર્ડર સામે પીડિત પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરતી અરજી દાખલ કરવામાં આવતા નામદાર સુપ્રિમકોર્ટે પીડિતોની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે, જામીન મુક્ત થનાર વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ છે અને લાંબો સમય જેલમાં રાખવા યોગ્ય નથી.સમાચાર સંસ્થા લાઈવ લો ના અહેવાલ મુજબ મોરબી ઝૂલતાપુલ કેસના આરોપી દિનેશકુમાર દવે જામીન મુક્ત થતા આ જામીન મુક્તિને પડકારતી અરજી ફગાવી દેતા નામદાર સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ઓરેવા મેનેજર સામેની તપાસ પૂર્ણ થઈ છે અને જેલમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને એસવીએન ભટ્ટીની બેન્ચે ટિપ્પણી કરી હતી કે દિનેશ દવેને ઓરેવામાં મેનેજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ તેઓ નાની રકમ કમાઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, તા.30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતોપુલ તૂટી પડવાથી 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એફઆઈઆરમાં મુકવામાં આવેલા આરોપો મુજબ, ઓરેવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલની જાળવણી અને રિનોવેશન કરવામાં આવ્યુ હતું અને ઝૂલતાપુલનું અયોગ્ય નવીનીકરણ અને જાળવણીને કારણે, એટલે કે મેનેજમેન્ટની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ હતી.