ટંકારા : ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને દર્શન યુનિવર્સિટીની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને કેરિયર કાઉન્સિલિંગ અંગે વિશેષ સેમિનાર તેમજ યુનિવર્સિટી કેમ્પસની વિસ્તૃત મુલાકાત કરાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓને દર્શન યુનિવર્સિટીની મુલાકાત લઈ શકાય તે માટેનું તમામ માર્ગદર્શન અને આયોજન યુનિવર્સિટીના પ્રોફેસર ધવલ રાદડિયાએ કર્યું હતું. જ્યારે પ્રોફેસર ચિંતન સંઘવીએ કેમ્પસ પર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની તમામ સુવિધાઓ અંગે પ્રત્યક્ષ મુલાકાત કરાવી અને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમિનારમાં દર્શન યુનિવર્સિટીના ડીન ગજેરાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન (પીપીટી) દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ પણ પૂરું પાડ્યું હતું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી વિકલ્પો વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હોવાનું વિદ્યાલય તરફથી જણાવાયું હતું.