મોરબી : મોરબીની દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થવા પ્રકરણમાં તપાસનીશ પોલીસ ટીમે જવાબદાર આરોપીઓ ફરતે કાયદોનો મજબૂત ગાળિયો કસવા માટે 367 વ્યક્તિઓના નિવેદન લીધા હોવાનું ચાર્જશીટમાં દર્શાવ્યું છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થવા મામલે આજે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા સંદર્ભે તપાસનીશ અધિકારી દ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં 1262 પાનાનું ચાર્જશીટ રજૂ કરી અજંતા ઓરેવાના કર્તાહર્તા અને માલિક એવા જયસુખ પટેલને ફરાર દર્શાવી આરોપી તરીકે જોડવાની સાથે અત્યાર સુધીમાં ઝડપાયેલા 9 સહીત કુલ 10 આરોપી વિરુદ્ધ તહોમતનામું ફરમાવ્યું છે. વધુમાં મોરબી પોલીસ દ્વારા સત્તાવાર રીતે રજૂ મીડિયાને આપવામાં આવેલ અખબારી યાદીમાં ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલ વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવતા તેઓના સંભવિત આશ્રયસ્થાન ઉપર તપાસ કરતા હાજર મળી આવેલ ન હોય સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ મેળવી આરોપીને ફરાર દર્શાવી આ કેસમાં કુલ 367 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.