74 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં પ્રવેશ મેળવ્યો મોરબી : મોરબીની સરકારી શાળામાં ફરજ નિભાવતા શિક્ષકોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમજ 74 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં પ્રવેશ મેળવ્યો છે. હાલ સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં મફત પ્રવેશ માટેની ઝુંબેશ અને ઓનલાઈન કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ સુસજ્જ બની છે. ઉચ્ચ લાયકાત અને તાલીમ બદ્ધ વિષય નિષ્ણાંત, ટેટ અને ટાટ પરીક્ષા પાસ થયેલા શિક્ષકો સ્માર્ટ કલાસ, વર્ચ્યુઅલ કલાસ, ઓનલાઈન હાજરી, એકમ કસોટી દ્વારા સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, શિષ્યવૃતિ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને જી.શાલા દ્વારા આપતા ઓનલાઈન શિક્ષણ, કોરોના કાળમાં સરકારી શાળાના મળતું ફૂડ સિકયુરીટી એલાઉન્સ, એમ.ડી.એમ. અનાજ વગેરેથી પ્રભાવિત થઈને ઘણા બધા ખૂબ મોટી સંખ્યામાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેના માટે દિલીપભાઈ પરમાર શિક્ષક જેઓ જુના લીલાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, તેમણે પોતાની પુત્રી હેન્સીને ધો. 5માં અને તેમના ભાઈની પુત્રી હારા નીતિનભાઈને ધો. 7માં, યોગેશભાઈ ડાભી કે જેઓ જવાહર ભડિયાદ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, તેમણે પોતાની પુત્રી વિશ્વાને ધો. 5માં તેમજ નાની પુત્રી ધ્વનિને ધો. 1માં માધાપરવળી કન્યા શાળામાં કુમકુમ તિલક કરી, ચારેય બાળાઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પ્રવેશ અપાવેલ છે. તેમજ 74 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ, સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં જ પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલ કરેલ છે અને સરકારી એટલું અસરકારીની ભાવના પ્રકટ કરેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.