ગારીયા ગામના દિવ્યરાજસિંહનો બેંક સેવીંગ ખાતું ખોલવાનો પ્રશ્ન એક દિવસમાં ઉકેલાયો મોરબી : વાંકાનેરના ગારિયા ગામના ખેડૂતને બેન્ક ખાતું ખોલાવામાં પડી રહેલી મુશ્કેલી મોરબી જિલ્લા કલેક્ટરને સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં આવતા કલેક્ટરે આ બાબતે સ્થાનિક તંત્રનું ધ્યાન દોરી તાકીદે ખેડૂતની મુશ્કેલી દૂર કરી હતી. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગારિયા ગામના રહિશ અને પહેલા ખાનગી બેંકમાં જ જોબ કરતા દિવ્યરાજસિંહ વાળા ઉ.વર્ષ-૨૬ હાલ ગારિયા ખાતે ખેતિ સંભાળી રહયા છે. તેઓએ વાંકાનેર પ્રતાપ ચોક ખાતેની રાષ્ટ્રીયકૃત સ્ટેટબેંક ઓફ ઇન્ડીયામાં સેવિંગ ખાતુ ખોલાવવા બ્રાન્ચની મુલાકાત લીધી હતી મહામહેનતે ખાતુ ખોલાવવા માટેનું ફોર્મ મળ્યું. જરૂરી આધાર સાથે ફોર્મ પરત બેંકમાં રજુ કરવા અવારનવાર બેંકમાં છેલ્લા એક માસથી ધકકા ખાતા હતા પણ બ્રાન્ચ મેનેજર કોઇને કોઇ બહાના બતાવી તેઓનું ફોર્મ સ્વીકારતા નહિ. આ અંગે તેઓએ વાંકાનેર મામલતદાર અને એસ.બી.આઇ.ના નોડલ ઓફીસરને રજુઆત કરી તેઓએ પણ બ્રાન્ચ મેનેજરને યોગ્ય કરવા જણાવ્યું હતું. તેમ છતા તેઓનું ફોર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આથી તેઓએ થાકી નિરાશ થઇ સોશિયલ મીડીયાના માધ્યમથી તેમના ભાઇના ટ્વીટર પર રજુ કરેલ જે પ્રશ્ન મોરબી જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાના ધ્યાને આવતા તેઓશ્રીએ તુરંત સોશિયલ મીડીયાના માધ્યમથી વાંકાનેર પ્રાંતને ધ્યાન પર મુકી આ લોક પ્રશ્નનો તુરંત નિકાલ કરવા જરૂરી સુચનાઓ આપી હતી અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે આદેશ અન્વયે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી જીજ્ઞાશાબેન ગઢવીએ તેઓના તાબા હેઠળના અધિકારીને સબંધિત એસ.બી.આઇ. બ્રાન્ચનો સંપર્ક કરવા અને શા કારણોસર સેવીંગ ખાતુ ખોલી આપવામાં નથી આવતુ તે અંગે સબંધિત બેંક અધિકારી પાસેથી જાણકારી મેળવી અને બેંક અધિકારીને તુરંત આ પ્રશ્ન અંગે ધટતુ કરવા સુચનાઓ આપતા બ્રાન્ચ મેનેજરે ટેલીફોન દવારા દિવ્યરાજસિંહનો સંપર્ક કરી ખાતુ ખોલવા માટેનું ફોર્મ બેંકમાં પહોચતું કરવા અને ફકત બે દિવસમાં તેઓનું ખાતુ ખુલી જશે તેવી તેઓને ખાત્રી આપવામાં આવી હતી. આમ જે પ્રશ્ન છેલ્લા એક માસથી ધકકા ખાવા છતા ઉકેલાતો ન હતો તે પ્રશ્ન કલેકટરશ્રી આર.જે. માકડીયાએ ફકત એક જ દિવસમાં ઉકેલી નાખ્યો હતો. આ પ્રશ્ન ઉકેલી જવાથી દિવ્યરાજસિંહ વાળા કલેકટરશ્રી આર.જે માકડીયાનો ખુબ ખુબ આભાર માનવા સાથે વહીવટી તંત્રની ત્વરીત પ્રશ્ન હલ કરવાની કાબેલીયાતને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.