મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન પહોંચ્યું છેઆ અંગે ટંકારા તાલુકાના સજનપર ગામના લાલજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મેં ત્રણ વિઘામાં તલનું વાવેતર કર્યું હતું. દર વર્ષે 35 થી 40 મણ ઉત્પાદન થાય છે . આ વર્ષે પણ પાક તૈયાર થઈ ગયો હતો અને સોમવારે પાક વાઢવાનું ચાલુ હતું ત્યારે જ પવન સાથે વરસાદ આવતા પોણા ભાગનો તલીનો પાક આડો પડી ગયો છે અને હવે આ તલ કાળા પડી જાય અને લણવા બેસીએ તો મજૂરી પણ વધી જાય.ખેતીમાં પાકનાં નુકશાનની સાથે સાથે ગામમાં એક મકાનના છાપરા પણ ઉડી ગયા હતા.વાંકાનેરના તીથવામાં વર્ષોથી બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત મહમદભાઈ શેખે જણાવ્યું હતું કે, મેં દોઢ એકરમાં 240 જેટલા આંબા વાવ્યા હતા. તે બધાનો સોથ વળી ગયો છે. ઉપરાંત 30 ફૂટ ઉંચુ જાંબુડાનું વૃક્ષ પણ પડી ગયું છે. તેમજ 3 એકરમાં કારેલી, મરચી, રીંગણ અને કકડીનું વાવેતર કરેલ જેના થકી મને એવોર્ડ મળેલા એ કારેલીનો માંડવો નમી ગયો અને અન્ય શાકભાજીમાં 20 ટકા જેટલું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.