એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મલ્લ વક્તવ્ય આપશે ટંકારા : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ગુજરાતભરમાં છેલ્લા 30 વર્ષથી વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી કરવામાં આવે છે. આ સંસ્થાની કામગીરીની નોંધ દેશ-વિદેશના વર્તમાનપત્રો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેનલોએ કરી લોકોને માહિતગાર કર્યા છે. યુ.કે. ચેનલ 4 અને 5ની ટીમએ રાજકોટ-ગુજરાતમાં સંસ્થાના હોદ્દેદારો સાથે સ્થળ ઉપર જ કવરેજ કરી લોકોને અભીમુક્ત કર્યા છે. જાથા દ્વારા સન્માન કરનાર વ્યક્તિઓની નોંધ સમગ્ર ભારતમાં થાય છે તેમજ ગૌરવ સાથે માનવતાલક્ષી પ્રવૃત્તિઓ કરનાર તરીકેનું બિરુદ મળે છે. જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે તા. 25મી જાન્યુઆરી શનિવારે સવારે 11:00 કલાકે દયાનંદ સરસ્વતી હોલ, આર્ય વિદ્યાલયમ ટંકારા ખાતે અંધશ્રદ્ધા નિવારણ ક્ષેત્રે કામગીરી કરનારાઓનું ભવ્ય સન્માન રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ IPS ડો. વિનોદકુમાર મલ્લ હસ્તે થવાનું છે. તેમાં માવજીભાઈ દલસાણીયા, ભગવાનજીભાઈ ભીમાણી, દેવજીભાઈ પડસુંબિયા, રજનીભાઈ મોરસાણીયા, મેહુલભાઈ કોરિંગા, મનીષભાઈ કોરીંગા, હસમુખભાઈ દુબરીયા (ટંકારા), પૃથ્વીસિંહ ચુડાસમા (સરપંચ, લાઠ), વિનોદભાઈ વામજા (ઉપલેટા), ભરતભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ધિરજકુમાર ચૌહાણ (ખારોડ, વિજાપુર), ચંદ્રકાંતભાઈ મંડીર (રાજકોટ), રુચિર કારીયા (મોરબી), અલ્પેશ કોઠીયા (સરપંચ, પીપળીયા, મોરબી), એસ. એમ. બાવા (અંજાર, કચ્છ), કચ્છી મગનભાઈ પટેલ (સુરત), દધીચિ મહેતા (ભાવનગર), પ્રો. ડો. ઇરોઝ વાઝા, પ્રો. યશવંતભાઈ ગોસ્વામી, પ્રો. ડો. શાંતિભાઈ રાબડિયા સહિત રાજ્યના શ્રેષ્ઠીઓનું બુદ્ધિજીવીઓની હાજરીમાં બહુમાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેનાર IPS ડો. વિનોદકુમાર મલ્લ 'લેટ્સ ડેવલપ સાન્ટીફિક એટ્ટીટ્યુડ' વિષય પર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટંકારા આર્ય સમાજ તથા આર્ય વિદ્યાલયના સહયોગથી મેહુલભાઈ કોરીંગા, દેવજીભાઈ, માવજીભાઈ સહિતના લોકો તડામાર તૈયારીઓ કરી જહેમત ઉઠાવી રહ્યા છે.