હળવદ : હળવદની પીએમશ્રી રણમલપુર પ્રાથમિક શાળામાં પીએમશ્રી સ્કૂલ અંતર્ગત શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં વિજ્ઞાન વિશે રુચિ વધે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તેમજ અંધશ્રદ્ધા જેવા વિષયોમાંથી સમાજ બહાર નીકળે તેનો હતો. આ વિજ્ઞાન પ્રદર્શન શાળાના આચાર્ય અશ્વિનભાઈ વરમોરા, શાળાના ગણિત/વિજ્ઞાન શિક્ષક જશુમતીબેન તથા શૈલેષભાઇ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર પટેલ કેતનભાઈ, પટેલ તરુણાબેન, પટેલ મહેન્દ્રભાઈના સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા વિવિધ 35 થી વધુ પ્રોજેક્ટ રજૂ કરી પોતાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો હતો અને જીવનમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે એ સંદેશ પૂરો પાડ્યો હતો. શાળાના વિજ્ઞાન શિક્ષકો દ્વારા બાળકોએ બનાવેલ દરેક કૃતિઓનું મૂલ્યાંકન કરી, બેસ્ટ પ્રોજેક્ટને નંબર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે દરેક બાળકોને સ્કેચપેન, પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.