મોરબી : જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં 4 ઓકટોબરના રોજ શિક્ષક જયંતીલાલ જુગતરામ વ્યાસ 30/09/2025 ના રોજ નિવૃત્ત થતા તેમના વયનિવૃત્તિ પ્રસંગે હૃદયસ્પર્શી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય આનંદભાઈ ભોજાણી તથા સમગ્ર શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યા દેવી માતા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. પછી નિવૃત્ત શિક્ષક જયંતીલાલ જુગતરામ વ્યાસએ પોતાના લાંબા કારકિર્દી દરમિયાન મેળવેલા અનુભવો, વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત ભાવના અને શૈક્ષણિક સેવા અંગે સૌને પ્રેરક સંદેશ આપ્યો હતો. શાળાના શિક્ષકમિત્રો દ્વારા તેમને શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ પણ ગીત, ભાષણ અને નાનકડા કાર્યક્રમો દ્વારા પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. કાર્યક્રમના અંતે સૌએ શિક્ષકના સ્વસ્થ અને આનંદમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક અંતાણી કુશકુમાર દિનેશચંદ્ર દ્વારા તથા આભાર વિધિ શાળાના શિક્ષક રાજેશભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું હતું.