ટંકારા : ટંકારા હોમગાર્ડઝ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ અરૂણભાઈ નાગજીભાઈ પરમારની 35 વર્ષની પ્રશંસનીય સેવાને બિરદાવવા અને તેમના વય નિવૃત્તિના અવસરે ટંકારા ખાતે 18 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ એક ભવ્ય સેવા નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અરૂણભાઈ નાગજીભાઈ પરમાર 23 ફેબ્રુઆરી, 1990ના રોજ હોમગાર્ડઝ દળમાં જોડાયા હતા. તેમણે 16 ડિસેમ્બર, 1995થી રાજકોટ જિલ્લાના ટંકારા યુનિટમાં હોમગાર્ડઝ સભ્ય તરીકે સેવા આપી અને 12 ડિસેમ્બર, 2019થી મોરબી જિલ્લાના ટંકારા યુનિટમાં ઓફિસર કમાન્ડિંગ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. તેમણે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં તેમના ઉલ્લેખનીય કાર્યો અને નિષ્ઠાવાન સેવા માટે જાન્યુઆરી 2024માં મુખ્યમંત્રીના હસ્તે કલેકટર દ્વારા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અરૂણભાઈ પરમારની ઉત્કૃષ્ટ સેવાઓની સરાહના કરવા અને તેમને વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવવા માટે મુખ્ય મહેમાન તરીકે દિપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ ( જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ, મોરબી), અતિથિ વિશેષ તરીકે દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય, ટંકારા-પડધરી મતવિસ્તાર), સમીર સારડા (DYSP, વાંકાનેર વિભાગ), કે.એમ. છાસીયા (પોલીસ ઇન્સ્પેક્ટર, ટંકારા પોલીસ સ્ટેશન), અશોકભાઈ દુબરીયા (તાલુકા પંચાયત ઉપપ્રમુખ), પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો સહિતના ગણમાન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને અરૂણભાઈ નાગજીભાઈ પરમારને વય નિવૃત્તિના અવસરે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશહાલ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.