મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીના નાકે રોડ પર અસહ્ય ગંદકીથી રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સોમૈયા સોસાયટીના નાકે રોડ પર આસપાસના લોકો અને સ્થાનિકો દ્વારા ગંદકી કરવામાં આવી રહી છે. આ અંગે તંત્ર પણ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. જેના કારણે સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીના રહીશ યશભાઈના જણાવ્યા પ્રમાણે સોસાયટીના નાકે થતી ગંદકીના કારણે સોસાયટીના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીના કારણે ઢોરનો જમાવડો થઈ જાય છે અને ગૌમાતા અહીંયા પ્લાસ્ટિક ખાતી નજરે પડતી હોય છે. ઢોરના જમાવડાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક વખત તંત્રને ધ્યાન દોર્યું છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે સોસાયટીના રહીશોની માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. નહીંતર લોકો કચરાનો ટ્રક ભરીને નગરપાલિકાએ આવી વિરોધ નોંધાવશે.