ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની સત્તા જિલ્લા કલેક્ટરને અપાઈ મોરબીમાં વાવડી રોડ નાની બરાર, મકનસર, રંગપર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે પાકિસ્તાની શરણાર્થીઓ મોરબી : પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી સમાજના શરણાર્થીઓ લાંબાગાળાના વિઝા લઈ ભારતમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે આવા શરણાર્થીઓને આસાનીથી નાગરિકતા સર્ટિફિકેટ મળી રહે તે માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પાંચ રાજ્યના 13 જિલ્લા કલેક્ટરને વિશેષ સતા આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેથી મોરબીમાં વસવાટ કરતા 1100 જેટલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરના ધક્કા નહીં ખાવા પડે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા 6 લઘુમતી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટની મંજૂરી આપવા માટે ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના 13 જિલ્લા કલેકટરોને સત્તા આપી છે. ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર જાહેર કરાયો છે. જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં માઈનોરિટી ગણાતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખિસ્ત્રી ધર્મના લોકો જે ભારતમાં રહે છે તેઓ સીધા જ સંબંધિત જિલ્લા કલેક્ટરને નાગરિકતા પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે. હાલમાં મોરબી જિલ્લામાં અંદાજે 1100 જેટલા પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. મોરબીમાં વસવાટ કરતા હિન્દુ શરણાર્થી સંગઠનના અગ્રણી ચંદનસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય અમારા માટે ખુબ જ રાહતજનક છે. હાલમાં મોરબીના નાની વાવડી રોડ, નાની બરાર, મકનસર, લીલાપર રોડ, શાપર, સામાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ વસવાટ કરે છે. જે પૈકી 200 જેટલા શરણાર્થીઓને નાગરિકતા માટે મોરબીથી પ્રક્રિયા થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 7 વર્ષથી ભારતમાં વસવાટ કરતા હોય તેવા શરણાર્થીઓને ઓનલાઈન અરજી કરવી પડશે. જેની ચકાસણી કર્યા બાદ કલેક્ટર તેઓને ભારતીય નાગરિકતા આપી શકે છે. આ અગાઉ 2018માં ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના અન્ય 16 જિલ્લા કલેકટરોને પણ આ સત્તા અપાઈ હતી. આ એવા વિસ્થાપિતો માટે છે જેમણે કુદરતી નાગરિકતા એટલે કે સીટીઝનશિપ બાય નેચરલાઇઝેશન પ્રમાણે નાગરિકતા માંગી છે અને ભારતમાં લાંબાગાળાના અથવા અન્ય કોઈ પ્રકારના વિઝા સાથે પ્રવેશ કર્યો છે. નાગરિકતા માટેની અરજી અંગે સમગ્ર તપાસ અને ખરાઈ બાદ જો કલેક્ટર કે રાજ્યકક્ષાએ જે તે સલગ્ન સચિવને યોગ્ય લાગશે. તો રજિસ્ટ્રેશન અથવા ન્યુટ્રેલાઈઝેશન દ્વારા ભારતનું નાગરિકત્વ આપી શકશે. રજિસ્ટ્રેશન થયાના 7 દિવસની અંદર કલેક્ટર અને સેક્રેટરી જે લોકોને નાગરિક્તાનું સર્ટિફિકેટ આપશે તે ભારત સરકારને પણ મોકલવામાં આવશે.