અગરિયાઓના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવા મુખ્યમંત્રીએ આપી ખાતરી મોરબી : સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લાના અગરિયાઓ છેલ્લા 50 વર્ષથી 8 માસ માટે સ્થળાંતરિત કરીને પરંપરાગત રીતે મીઠાની ખેતી કરી રહ્યા છે. ત્યારે આ અગરિયાઓને કાયમી અધિકારો મળે તે માટે આજ રોજ રાજ્યના શ્રમ મંત્રી મૂળુભાઈ બેરા અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ધારાસભ્યો અને અગરિયાઓએ ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. અગરિયા હિત રક્ષક સંઘના જણાવ્યા પ્રમાણે સેટલમેન્ટ પ્રક્રિયામાં રહેલી ખામીના કારણે 50 વર્ષ બાદ પણ મીઠું પકવતા અગરિયાઓને રણમાં જઈને 8 માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. તેથી ના છુકટેક અગરિયાઓને ગેરકાયદેસરના દુષણનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે સાંતલપુર, માળિયા, હળવદ, ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના 60 જેટલા અગરિયાઓએ તેઓના ધારાસભ્ય પી. કે. પરમાર, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને લવિંગજીભાઈ સાથે આજે રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરાને મળ્યા હતા અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને 8 માસ માટે રણમાં જઈને મીઠું પકવવાના અધિકારને કાયમી માન્યતા મળે તે માટે રજુઆત કરી હતી. રજુઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતે હકારાત્મક નિર્ણય લેવા ખાતરી આપી હતી.