સ્થાનિક ભાજપ કાર્યકરે જ રજૂઆત કરતા આ બાબતે રૂપાલાએ પોલીસ વડાને કડક કાર્યવાહી કરવા તાકીદ કરીટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે વારંવાર ચોરીના બનાવ બની રહ્યા છે. પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાની સ્થાનિક ગ્રામજનોએ સાંસદ પરશોત્તમ રૂપાલાએ લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે નેકનામ ગામે ગત તારીખ 5 એપ્રિલના રોજ સ્મશાનમાં અંદાજે 65 હજારની ચોરી થઈ હતી. 5 એપ્રિલ થી 5 જુન સુધીમાં 14 થી 15 વખત મંદિરમાં ચોરી થઈ હતી. 5 જુનના રોજ પ્રભુલાલભાઈના ઘરમાં ચોરી થઈ હતી. 5 ઓગસ્ટના રોજ નારણભાઈ અને બચુભાઈના ઘરમાં ચોરી થઈ હતી. 10 સપ્ટેમ્બરના રોજ ઉમિયા ચાવાળાના ઘરમાં ચોરી થઈ હતી.ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ 10 થી 12 વાડીમાં કેબલ, કેબલ બોર્ડ, ઈલેક્ટ્રિક પંપ અને મોટરની ચોરી થઈ હતી. આમ અવાર નવાર ચોરી અંગે ટંકારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નહતું. જેથી ભાજપના યુવા કાર્યકર અને નેકનામ ગામના વતની અરવિંદભાઈ મુંડાલિયાએ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાને લેખિત રજૂઆત કરીને આ અંગે કાર્યવાહી થાય તે માટે જણાવ્યું હતું. જેથી સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીને લેખિત જાણ કરીને આ ચોરીના બનાવ અંગે યોગ્ય ન્યાયોચિત કાર્યવાહી થાય તે અંગે તાકીદ કરી છે.