હાલમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકો પોતાના ઘરે જાતજાતનાં અથાણાં બનાવી રહ્યા છે. આ અથાણાં બારે મહિના ખાવાની મજા પડી જાય છે. અથાણું બનાવતી વખતે અને પાછળથી જો બરાબર ધ્યાન આપવામાં ન આવે તો અથાણું બગડી જાય છે. જો કે અથાણાંને બારે મહિના સુધી કશું ન થાય તે માટે યોગ્ય માપ રાખવું ખૂબ જરૂરી છે. તો મસાલીયા ગુંદાના અથાણાંની રેસિપી અહીં આપેલી છે. તે પ્રમાણે અથાણાંને બનાવી બહાર નહિં પરંતુ ફ્રિજમાં રાખો તો પણ બારે મહિના સુધી એવું ને એવું જ રહે છે. મસાલીયા ગુંદાના અથાણાંની સામગ્રી 1. 700 ગ્રામ મોટા ગુંદા 2. 260 ગ્રામ કેરીનું છીણ 3. 260 ગ્રામ મેથીયો મસાલો 4. 2 ટી.સ્પૂન મરી 5. 1 કપ કેરીના નાના ટુકડા. જો તમને ખટાશ વધારે ગમતી હોય તો તમે આ વધારે પ્રમાણમાં પણ લઇ શકો છો. 6. 800 ગ્રામ તલનું તેલ મસાલીયા ગુંદાનું અથાણું બનાવવાની રીત 1. મસાલીયા ગુંદાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ મેથીયો મસાલો અને એમાં કેરીનું છીણ નાંખીને બરાબર મિક્સ કરી લો. 2. હવે ગુંદા ધોઇ લો અને એને કોરા કરી લો. 3. ત્યારબાદ ગુંદામાંથી ઠળિયા કાઢી લો. 4. હવે ઉપરનો મસાલો ગુંદામાં ભરો. 5. આ પ્રોસસ થઇ જાય એટલે એક બરણી લો અને એમાં નીચે થોડા કેરીના કટકા નાંખો. 6. ત્યારબાદ કેરીના કટકા ઉપર ગુંદા એડ કરો. 7. હવે પાછી થોડી કેરી નાંખો અને ઉપર ગુંદા નાંખો. આ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની જ્યાં સુધી તમારી પાસે ગુંદા અને કેરી હોય. વારાફરતી આ પ્રોસેસ કરો. 8. તમારી આ પ્રોસેસ થઇ જાય એટલે ઉપરથી મેથીયાનો મસાલો એડ કરો. 9. હવે બરણીમાં ગુંદા ડૂબે એટલું તેલ નાંખો. તો તૈયાર છે મસાલિયા ગુંદાનું અથાણું.