કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવા શિક્ષણાધિકારીને રજુઆત મોરબી : છેલ્લા દિવસોમાં મોરબીમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું હોય બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવું જોખમી બન્યું હોવાનું જણાવી મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે. મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરતા જણાવ્યું છે કે, સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે. મોરબી જિલ્લાની સ્થિતિ પણ આ બાબતે ગંભીર થઈ રહી છે. શહેર વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં ઘો.6 થી 8 ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રાખવું જોખમભરેલું બની રહેશે. રાજ્યની ઘણીબધી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે.રાજકોટ જિલ્લામાં હાલ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અનઅધ્યયન રાખી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખેલ છે.નાના બાળકો શાળામાં કોરોના અંગે સંપૂર્ણ ગાઈડલાઈન ન પાળી શકે તે સ્વાભાવિક બાબત છે.તો નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન વધે અને સ્થિતિ ગંભીર ન બને તે માટે અગમચેતીના ભાગ રૂપે મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે અનઅધ્યયન (રજા)જાહેર કરવા માટે મોરબીના સૌ શિક્ષક ભાઈઓ બહેનોની વતી મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરવામાં આવેલ છે.