નકલંક ટાઉનશીપમાં રહેતા લોકો દ્વારા ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ હળવદ : હળવદ તાલુકાના શકિતનગર ગામે નકલંક ટાઉનશીપમાં આવેલ ન્યુ એરા સ્કુલના સંચાલકોને જાણે ગંદકી ફેલાવાનો પરવાનો આપી દીધો હોય તેમ બેફામપણે ગંદુ અને દુષિત પાણી સોસાયટીમાં છોડવામાં આવતું હોવાને કારણે ત્યાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે જ નકલંક ટાઉનશીપના રહીશો દ્વારા ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. શકિતનગર ગામે આવેલ નકલંક ટાઉનશીપ સોસાયટીમાં અંદાજે ર૭ જેટલા પરિવારો વસવાટ કરે છે. અહીં ન્યુ એરા ખાનગી સ્કુલ અને હોસ્ટેલ પણ હોય જેને કારણે સ્કુલના સંચાલકો દુષિત અને ગંદા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાના બદલે સોસાયટીમાં છોડતા હોવાથી અહીં રહેતા લોકોને બિમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. જેથી નકલંક ટાઉનશીપ સોસાયટીના દેવાભાઈ, હિતેન્દ્રસિંહ, રાજુભાઈ આહિર, ઘનશ્યામભાઈ જાદવ સહિતનાઓ દ્વારા વહેલી તકે સ્કુલ દ્વારા ખુલ્લામાં છોડાતું દુષિત પાણી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરાઈ છે.