નર્મદાનું પાણી આવતું ન હોય અને ઉપરથી બોરનું પાણી પણ ખારું નીકળતા પાણીની એક એક બુંદ માટે તરસતા ગ્રામજનો હળવદ : હળવદનું રણછોડગઢ ગામ છેલ્લા બે મહિનાથી તરસ્યું છે. ગામમાં બે મહિનાથી નર્મદાનું પાણી આવતું ન હોય અને ઉપરથી બોરનું પાણી પણ ખારું નીકળતા પાણીની એક એક બુંદ માટે ગ્રામજનો રીતસર તરસી રહ્યા છે. જો કે નર્મદાની પાણીની લાઇન વારંવાર તૂટી જતી હોય રીપેરીંગના વાંકે ગામમાં પાણીના સાસા સર્જાયા છે. હળવદના રણછોડગઢ ગામે છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યા સર્જાય છે. ગ્રામજનોના કહેવા મુજબ નર્મદાનું પાણી છેલ્લા બે મહિનાથી તેમના ગામમાં આવ્યું નથી. હળવદના ખેતરડી ગામે બનાવેલા નર્મદા પાણીના સંપમાંથી અલગ અલગ ગામોને પાણી આપવામાં આવે છે અને રણછોડગઢ ગામે પણ આ સંપમાંથી નર્મદાનું પાણી આપવામાં આવે છે. ખેતરડી ગામથી નર્મદાનું પાણી પહોંચાડવા રણછોડગઢ ગામે નાખેલી પાણીની લાઇન અવારનવાર તૂટી જતી હોય પરંતુ રીપેરીંગ કરાતું ન હોવાથી રણછોડગઢ ગામની 3500થી વધુ વસ્તીને પાણી માટે વલખા મારવા પડે છે. નર્મદાનું પાણી ન આવતા ગામમાં આવેલા પાણીના બોરનો સહારો લેવામાં આવતા એક બોરનું પાણી ખારું નીકળ્યું અને બીજા બોરમાંથી ગામને પાણી આપવાનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પણ બધાને પાણી પહોંચી શકતું ન હોય ગામના સરપંચ સોનલબેન ઠાકોરે જણાવ્યું હતું કે,સંપ પર અધિકારીઓ હાજર રહેતા હોય એમને વારંવાર લાઇન તૂટી ગઈ હોય એને રીપેરીંગ કરવાનું કહેવા છતાં રીપેર કરતા નથી. આથી તેમના ગામ તેમજ આજુબાજુના ગામમાં નર્મદાનું પાણી આવતું નથી. આથી તેઓએ પાણી પુરવઠાના અધિકારીઓ સમક્ષ તેમના ગામની લાઈન રીપેર કરી નિયમિત રીતે નર્મદાનું પાણી આપે તેવી માંગ કરી છે.