મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે સમગ્ર દેશના લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. આ શુભ અવસર પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂન અને રામપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આમ આદમી પાર્ટીએ ઓમ શિવમ હોલ ખાતે આમ આદમી પાર્ટીના ભાવિનભાઈ પટેલ, ભરતભાઈ બારોટ, ઇકબાલભાઈ બ્લોચ સહિત જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.દેશના તમામ બાળકોને સારું શિક્ષણ મળે, તમામ લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા મળે, માતા બહેન દીકરીઓની સુરક્ષા થાય અને દેશ અને દેશના લોકો પ્રગતિ કરતા રહે, તે માટે તમામ હાજર લોકોએ પ્રાર્થના પણ કરી હતી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને આમ આદમી પાર્ટી દ્વારા દિવાળીની જેમ ઉજવવામાં આવશે. સાથે સાથે પ્રાર્થના કરવામાં આવશે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામરાજ્યની સ્થાપના થાય અને દેશના તમામ લોકોનું ભલું થાય. તેમ યાદીમાં જણાવાયું છે.