ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો દાવો, સુરતની કોર્ટે જામીન આપ્યા મોરબી : ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા માનહાનિના કેસમાં નામદાર કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત ઠેરવી 2 વર્ષની સજા સંભળાવી હતી. વર્ષ 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક જાહેર સભા સંબોધતા એવું નિવેદન આપ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે, હજુય શોધો બીજા પણ ઘણા નીકળશે. રાહુલ ગાંધીના આ નિવેદનથી સમગ્ર ભારતના મોદી સમાજની માનહાનિ થઈ હોવાનું જણાવી સુરતની કોર્ટમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બદનક્ષી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને વકીલ બાબુ માંગુકિયાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોર્ટે કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, સજા પર 30 દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ફેસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા તેની બે મિનિટમાં જ જજે તેમને કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. રાહુલ ગાંધીના વકીલે કોર્ટની માફી માગવાનો પણ ઈનકાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે પોલિટિકલ લીડરની હેસિયતથી દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવો તેમની પ્રાથમિક ફરજ છે.