ફાર્મા સેક્ટર અને સરકારે સાથે મળીને કામ કરવા જણાવ્યું મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સંકટને લઈ ગઈકાલે બુધવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓક્સિજન સપ્લાય અને દવાઓની ઉપલબ્ધતાનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. સાથો સાથ મ્યુકરમાઈકોસિસ રોગચાળા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીને સરકાર કોરોનાની સાથે મ્યુકરમાઈકોસિસની દવાઓના સપ્લાયનું સતત મોનિટરીંગ કરી રહી છે તેવી માહિતી આપવામાં આવી હતી. મીટિંગમાં હાજર મંત્રીઓએ તેઓ પ્રોડક્શન વધારવાથી લઈને સતત મેન્યુફેક્ચરર્સના સંપર્કમાં છે તેમ પણ જણાવ્યું હતું. તે સિવાય વડાપ્રધાનને દવાઓના કાચા માલ અને ઉપલબ્ધ પ્રોડક્શન અને સ્ટોકની જાણકારી પણ આપવામાં આવી હતી. વડાપ્રધાનને રાજ્યોને તમામ જરૂરી દવાઓનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે તેવી જાણકારી પણ આપવામાં આવી હતી. સાથે જ રેમડેસિવિર જેવી દવાઓનું પ્રોડક્શન સતત વધી રહ્યું છે તેમ પણ કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાને ફાર્મા સેક્ટર અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાને ઓક્સિજનની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિનો પણ ક્યાસ મેળવ્યો હતો. તેમને પહેલી લહેરની તુલનાએ આ વખતે ઓક્સિજન સપ્લાય ત્રણ ગણી વધારવામાં આવ્યો છે તેવી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત તેમને વાયુ સેના અને રેલવે દ્વારા ઓક્સિજન સપ્લાય માટે જે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે તેના અંગે પણ જણાવવામાં આવ્યું હતું. તે સિવાય તેમને ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સની ખરીદી ઉપરાંત દેશભરમાં લગાવાઈ રહેલા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થિતિ અંગે પણ જણાવવામાં આવ્યું હતું.