પીઓપી,રો મટીરીયલના ભાવમાં વધારો ઉપરાંત કારીગરોની અછતને લીધે ભાવવધારો થયાનું તારણ મોરબી : મોરબીમાં જન્માષ્ટમી બાદ ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ખાસ કરીને આ વખતે મોરબીમાં વિધ્નહર્તાની ભક્તિમાં ભાવ વધારાનું વિઘ્ન નડયું છે. આજકાલ ગણેશજીની મૂર્તિઓમાં માટી ઉપરાંત પીઓપીની મૂર્તિની ડિમાન્ડ વધુ હોય પીઓપી,રો મટીરીયલના ભાવમાં વધારાની સાથે કારીગરોની અછતને લીધે ભાવવધારો થયાનું તારણ વ્યક્ત થઈ રહ્યું છે. મોરબીમાં મોટાભાગે રાજસ્થાનના મારવાડી કામગરો ઘણા સમયથી ઠેર-ઠેર પડાવ નાખીની ગણેશજીની વિવિધ આકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે. જેમાં 90 જેટલા કારીગરોએ છેલ્લા ત્રણ માસથી મૂર્તિઓ બનાવીને હવે ગણેશ મહોત્સવ નજીક આવતા લગભગ મૃતિઓ તૈયાર થઈ ગઈ હોય અમુક બાકી હોય એ મૂર્તિઓને આખરી રંગ રૂપનો ટચ આપવામાં આવી રહ્યો છે.જેમાં ગણેશજીની વિવિધ આકારની 1 ફૂટથી માંડીને 10 ફૂટની સુશોભિત મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ વર્ષે મૂર્તિઓનો ભાવ રૂ.200થી માંડીને રૂ.25 હજાર સુધીનો છે. આ વખતે મૂર્તિઓમાં ડબલગણો ભાવવધારો થયો છે. આ અંગે કારીગર રમેશભાઈએ જણાવ્યું હતું કે, કારીગરોની અછત, રો મટીરીયલ અને પીઓપીમાં વધારાને કારણે ગણેશજીની મૂર્તિઓમાં ભાવ વધ્યા છે. જે મુર્તિ ગયા વખતે 17 હજારમાં મળતી હતી તે આ વખતે 34 હજારમાં મળે છે. આવી રીતે દરેક આકારની મૂર્તિમાં ડબલઘણો ભાવ વધતા ભાવિકોમાં દેકારો બોલી ગયો છે. મોરબીમાં અંદાજીત વિવિધ આકારની 20 હજાર જેટલી મૂર્તિઓ વેચવા માટે તૈયાર છે.જો કે ગણેશ મહોત્સવ નજીક આવતા દરેક વિસ્તારમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવા આયોજકો દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી રહી છે.