મોરબી : જીવનનું આ ચક્ર કેટલું વિચિત્ર છે. જ્યારે શારીરિક શક્તિઓ હોય ત્યારે અનુભવ નથી હોતો. જ્યારે અનુભવ મળે છે ત્યારે શારીરિક શક્તિઓ નથી હોતી. પણ શારીરિક શક્તિઓ ગુમાવીને દુનિયાદારીનો વર્ષોનો અનુભવ મેળવીને જીવનના અંતિમ ચરણમાં પહોંચેલા વૃદ્ધ યુવાનોને પોતાના અનુભવનો નિચોડ આપતા જાય અને એ અનુભવ ઉપર જો યુવાનો ચાલે તો તેનો બેડો પાર થઈ જાય તે નિશ્ચિત છે. આવું જ એક ઉદાહરણ આમરણના 101 વર્ષના દાદાએ પૂરું પાડ્યું છે. તેઓએ યુવાનોને પર્યાવરણનો જતન કરવાનો પ્રેરક સંદેશો આપ્યો છે. આમરણના પટેલ સમાજના અગ્રણી વસંતભાઈ ભાલોડિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ ભાલોડિયાના પિતા આંબાભાઈ મેઘજીભાઈ ભાલોડિયા કે જેઓ 101 વર્ષના છે. તેઓએ હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી યુવાનોને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો છે. આ પ્રસંગે ભાજપ અગ્રણી હસમુખભાઈ ગામી, શાંતિલાલ જાકાસણીયા, યોગેશભાઈ વાઘડિયા, ગોરધનભાઈ ભાલોડિયા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા.