સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જન્મદિવસની સમાજને ભેટ મોરબી : જન્મદિવસની તો સૌ કોઈ ઉજવણી કરતું હોય છે પરંતુ મોરબીના જાણીતા કેળવણીકાર પી.ડી.કાંજીયાએ આગામી ૧૦ ઓક્ટોબરે પોતાનો જન્મ દિવસ સમાજને કાયમી ઉપયોગી બનવાના સંકલ્પ સાથે ઉજવવા નક્કી કરી અનેક સોસાયટીઓને સ્વખર્ચે સ્વચ્છ બનાવવા નક્કી કર્યું છે. મોરબી નવયુગ વિદ્યાલય ગ્રુપના પી.ડી.કાંજીયા દ્વારા આગામી તા. ૧૦ ઓક્ટોબરના રોજ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા નક્કી કર્યું છે જે અન્વયે મોરબી શહેરના જીઆઇડીસી વિસ્તારમાં નવયુગ વિદ્યાલયથી લઈ પંચવટી મેઈન રોડ, અને આ વિસ્તારમાં આવતી વિવિધ સોસાયટીઓ અને ચિત્રકૂટ ચોક સહિતના વિસ્તારને તેમની ટીમ દ્વારા સ્વખર્ચે સ્વચ્છ રાખવામાં આવશે. વધુમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબીની વિવિધ સોસાયટીઓને સ્વચ્છ બનાવવા સંકલ્પમાં નગર પાલિકા દ્વારા સહયોગ આપવા નવયુગ ગ્રુપ દ્વારા ચીફ ઓફીસરને લેખિત પત્ર પાઠવી ઉપરોક્ત વિસ્તારમાં રસ્તામાં પડેલા ગાબડાં પુરવા, પાઇપલાઇન નાખવી અને લોકોને ડસ્ટબિન સહીતની સુવિધા આપવા પણ જણાવ્યું છે. આમ, મોરબીના કેળવણીકાર પી.ડી.કાંજીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી સમાજને ઉપયોગી બનવા અને કઈ કરી છૂટવા માટે સંકલ્પ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.