વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ જ મૃગજળ બની જાય ત્યાં જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક પળે સંઘર્ષ કરવો પડે છે.આવી જ હાલત હળવદના શક્તિનગર ગામની થઈ છે. આ ગામના લોકો તંત્રના પાપે ઘણા સમયથી પાણીની એકએક બુંદ માટે રીતસર જ્યાં ત્યાં વલખાં મારી રહ્યા છે.જોકે વર્ષો પહેલા તંત્રએ આપેલા આશ્વસનને કારણે ગામલોકોએ પાણી માટે ટાકો બનાવ્યો હતો.પણ તંત્રએ આજદિન સુધી તેમાં નર્મદાનું પાણી ઠાલવ્યું નથી.હવે બોરના પાણી પણ ઉંડા જતા રહેતા ગામલોકોને પાણીની વ્યવસ્થા કરવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા શક્તિનગર ગામેં આજે મહિલાઓ પાણી પ્રશ્ને આક્રમક બની હતી અને મહિલાઓએ માટલા ફોડીને નપાણિયા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ મામલે ગામલોકોએ હૈયાવરાળ ઠાલવી હતી કે ,વર્ષોથી તંત્રના પાપે તરસ્યું છે.આ ગામમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી.વર્ષો પહેલા ગામલોકો બોરમાંથી પાણીની જરૂરિયાત પૂરી કરતા હતા.પણ બોરનું ક્ષારયુક્ત પાણી હોવાથી ગામલોકો પથરીનો રોગનો શિકાર બન્યા હતા.આથી ગામલોકોએ જવાબદાર તંત્ર સમક્ષ પીવાનું શુદ્ધ પાણી આપવાની માંગ કરી હતી.તેથી તંત્ર જે તે સમયે ગામલોકોને જાતે સ્વખર્ચે પાણીનો ટાંકો બનાવી લેવાની વાત કરી હતી અને આ પાણીના ટાંકામાં નર્મદાનું પણી ઠાલવવાનું આશ્ર્વસન આપ્યું હતું. આથી ગામલોકોએ વર્ષો પહેલા સ્વખર્ચે પાણીનો ટાંકો બનાવ્યો હતો.પણ તંત્રએ આજદિન સુધી પાણી ટાંકામાં નર્મદાનું પાણી ન ઠાલવતા ગામલોકોની પાણીની ગંભીર સમસ્યા ઠેરની ઠેર જ રહી ગઈ છે.પાણીનો બોર ડુકી જતા હવે પાણીની પરિસ્થિતિને પહોંચી વળવ માટે ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.શક્તિનગર ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે ત્યારે ગામલોકોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઇ છે ત્યારે ગામલોકો હાલતો પાણીના ટેન્કર ના 500 રૂપિયા દેવા પડતા હોવાની ગામ લોકો જણાવી રહ્યાં છે ત્યારે મહિલાઓ દ્વારા ગામના પાણીના સંપ પર જ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરીને પોતાની પાણીની માંગને બુલંદ બનાવી હતી.