વાંકાનેર : વાંકાનેરમાં પાંચ દિવસ પહેલા ગત ૨૩મીએ બપોરે ત્રણેક વાગ્યે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયા બાદ આ અકસ્માતમાં ઘવાયેલા વધુ એક યુવાનનું મોત નિપજતા મૃત્યુઆંક બે થયો છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નવાપરામાં રહેતા બે મિત્રો અજય હર્ષદભાઇ સંખેચરીયા (ઉ.વ.૨૨) તથા આકાશ રણછોડભાઇ સારલા (ઉ.વ.૧૯) ગત તા.૨૩મીએ બપોરે બાઇક પર બેસી પેટ્રોલ પુરાવવા જઇ રહ્યા હતાં ત્યારે પૂલ પર પહોંચતા બાઇકને ટ્રકે ઠોકરે ચડાવતાં બન્ને મિત્રો ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં આકાશનું એ દિવસે જ મૃત્યુ થયું હતું. જયારે અજયને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગત સાંજે અજયે પણ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.મૃત્યુ પામનાર અજય છુટક મજૂરી કરતો હતો. તે બે બહેન અને ચાર ભાઇમાં ત્રીજા નંબરે હતો અજયના પિતા પણ મજુરી કામ કરે છે. હાલમાં બનાવ અંગે રાજકોટ પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરી છે.