અગાઉ 80 ખર્ચે નિર્માણ થનાર ઓવરબ્રીઝ બન્યા પહેલા જ 9 કરોડથી વધુનો ખર્ચ વધી ગયો : ઓવરબ્રિજની વિગતે માહિતી આપતાં રાજ્યમંત્રી મોરબી : છેલ્લા લાંબા સમયથી મોરબીના નટરાજ ફાટકે ઓવરબ્રિજ નિર્માણની હવામાં વાતો ચાલી રહી છે ત્યારે આજે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ 89.31 કરોડના ખર્ચે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવનાર હોવાનું વધુ એક વખત જાહેરાત કરી વિગતો જાહેર કરી હતી.નોંધનીય છે કે, અગાઉ ઓવરબ્રિજ 80 કરોડના ખર્ચે બનવાનો હતો પણ મોંઘવારીનો માર નડતા હવે આ બ્રિજમાં 9.31 કરોડનો ખર્ચ વધી જવા પામ્યો છે. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના નટરાજ રેલવે ફાટક પાસે નિર્માણ પામનાર ઓવરબ્રિજ માટે અગાઉ ૮૦ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. હવે નવી મંજૂરી મુજબ ૮૯.૩૧ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પામશે. વહિવટી મંજૂરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતા લગભગ તમામ વાહનો નટરાજ રેલવે ફાટક પાસેથી પસાર થાય છે. ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.