વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી મોરબી : માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા હોવાની ફરિયાદ બાદ તંત્રએ આ ગામના આંગણવાડી કેન્દ્રના મુખ્ય સેવિકાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી.ત્યારે આજે આ મામલે ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી છે. માળીયાના વવાણીયા ગામે આવેલા આંગણવાડી કેન્દ્રના મુખ્ય સેવિકા દીપિકાબેન પીલોજપરા ગેરરીતિ કરતા હોવાની અગાઉ ગ્રામજનોએ તંત્રને રજુઆત કરી હતી. આથી મોરબીના પોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ સહિતનાએ માળીયાના વવાણીયા ગામે આવેલા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈને ગેરરીતિ મુદ્દે તપાસ ચાલવી હતી. જેમાં ગત જૂન માસમાં લાભાર્થીઓને કરેલા સુખડી વિતરણ અંગે રજીસ્ટર તથા લાભાર્થીનું ક્રોસ ચેકિંગ કરતા લાભાર્થીને ગત અઠવાડિયાએ એક વખત સુખડી મળી હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે મુખ્ય સેવિકાએ અત્યાર સુધીમાં પાંચથી છ વખત સુખડી બનાવી હોવાનું કહ્યું હતું.પણ રજીસ્ટર ચેક કરતા નિયમિત રીતે સુખડી વિતરણ ન થઈ હોવાનું ખુલ્યું હતું. આથી લાભાર્થીને સુખડીના લાભથી વંચિત રાખવા સબબ તંત્રએ મુખ્ય સેવીકને કારણ દર્શક નોટિસ ફટકારી હતી. વધુમાં વાવણીયા ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે, વવાણીયા ગામે આવેલા આંગણવાડી કેન્દ્રના મુખ્ય સેવિકા દીપિકાબેન પીલોજપરાએ સર્ગભા બહેનોને સુખડી સહિતના અનાજનો લાભ ન આપીને ગેરરીતિ કરી હતી.આથી તેઓની અગાઉની રજુઆત બાદ 30 જાન્યુઆરીએ એ તંત્રએ મુલાકાત લઈને મુખ્ય સેવિકાને નોટિસ આપી છે અને નોટીસનો જવાબ આવ્યા બાદ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.