માર્કેટ યાર્ડ કપાસ અને મગફળીની આવકથી છલકાયું : છેલ્લા સાત દિવસમા અઢીલાખ મણ કપાસ અને દોઢ લાખ મણ મગફળીની આવક થઈ હળવદ : દિવાળીના તહેવારો નજીક હોય જેના કારણે હળવદ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ 22/10 થી 30/10 સુધી રજા રહેશે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવ્યું છે. જ્યારે 31/10 થી યાર્ડ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ હરોળમાં ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી પર્વને લઈ નવ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ નવ દિવસ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે જેની યાર્ડમાં વિવિધ જણસી વેચવા માટે આવતા ખેડૂતોએ નોંધ લેવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટ યાર્ડમાં છેલ્લા સાત દિવસમાં અઢી લાખ મણ કપાસની આવક નોંધાઈ છે જ્યારે દોઢ લાખ મણ મગફળીની આવક નોંધાઈ છે જેમાં ખેડૂતોને કપાસના મણ દીઠ 1500 થી 1800 સુધીના બજાર ભાવ મળ્યા છે જ્યારે મગફળીના 1150 થી 1450 સુધીના ભાવ મળ્યા છે. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે નવ દિવસના વેકેશન બાદ માર્કેટયાર્ડ 31/10થી રાબેતા મુજબ ખુલશે, જેમાં કપાસ અને અન્ય જણસીની આવક 30/10 ના રોજ બપોરે ત્રણ વાગ્યાથી લેવામાં આવશે જ્યારે મગફળીની આવક 31/10 ના રોજ સવારે પાંચ વાગ્યાથી લેવામાં આવશે.