દબાણ કરનાર દ્વારા પશુપાલકોને ધાક-ધમકીઓ અપાતી હોવાનો આરોપટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ગૌચર તેમજ ખરાબામાં થયેલું દબાણ દૂર કરાવવા ગામના મેરુભાઈ રબારી અને ગામના અન્ય રહેવાસીઓએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, ગામની સીમમાં સર્વે નંબર 27 પૈકી/1 જે સરકારી ખરાબા તેમજ ગૌચરની આશરે 20-25 વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી વાવેતર કરીને તેમાંથી ઊપજ લેવામાં આવી રહી છે. જેના કારણે ગામના પશુધનને ચરીયાણનો પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે અગાઉ ટંકારાના અધિકારીઓ પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી અને ટંકારા મામલતદાર સાહેબે સ્થળ પર આવી દબાણ દૂર કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં આજ દિવસ સુધી દબાણ દૂર કરવામાં આવ્યું નથી. પશુપાલકો આ જમીન તરફ માલઢોર ચરાવવા જઈએ છીએ તો માર મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. અમારા માલધારીઓ ઉપર ટંકારા પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ આપી ખોટા કેસ પણ કરેલા છે. અમારા ઉપર જીવલેણ હુમલો થવાની પણ અમને દહેશત છે. તો આ અંગે તાત્કાલિક ધોરણે આ જમીન પરથી દબાણો દૂર કરી માલઢોરનો ચરીયાણનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.