મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની કારોબારી બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ખાતે કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, મંત્રી તેમજ દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી અને દરેક કારોબારી સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતી. કારોબારી બેઠકની શરૂઆત હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી દ્વારા સંગઠન મંત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ હિતેશભાઈએ આગામી વિશ્વ મહિલા દિન અનુસંધાને માતૃશક્તિ વંદના કાર્યક્રમ વિશે, મંડલ રચના મંડલ સંયોજકની જવાબદારી વગેરે વિશે વાત કરી હતી. બેઠકમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા થતા કાર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયની અંદર કેવી કાર્ય શૈલી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ દરેક તાલુકામાં થયેલ મંડળ રચના ઝાંખી આપી અને મંડળ રચના દ્વારા સંઘને વધુ મજબૂત બનાવવા માટે કેવા કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ અંતર્ગત સંગઠન માટે 75 દિવસ ફાળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા દરેક તાલુકામાં થયેલ મંડળ રચના અને દરેક તાલુકાના કારોબારી સભ્યો દ્વારા ૭૫ દિવસના સમય દાનમાં કેવી રીતે કામ કરવું? તેની વધુ માહિતી આપી હતી. અને જીલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તેના વિશે દરેક તાલુકાના કારોબારી સભ્યો દ્વારા તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સંગઠનને વધુ મજબૂત અને તેનો વ્યાપ વધારવા અને દરેક શિક્ષક સુધી પહોંચવું અને સમાજ ઘડતર રૂપી કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિપુલભાઈ આઘારાએ તમામ કાર્યકર્તાઓ સાથે ટુ વે ચર્ચા કરી સંગઠનમાં કેવી રીતે અને કેમ જોડાયા? સંગઠનમાં કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે અને શિક્ષકોના પ્રશ્નો તેમજ જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નોની રજુઆત પ્રદીપભાઈ કુહાડીયા અને કિરીટભાઈ દેકાવડીયા સિનિયર ઉપાધ્યક્ષ, હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી, સુનિલભાઈ કૈલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા વગેરેએ પ્રતિભાવ આપ્યા હતા અને પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.