વાર્ષિક રૂ.૧૭૦૦ નર્મદા બાલઘરમાં સંગીત-ગાયન, સ્કેટિંગ, ચિત્રકલા, વિજ્ઞાન, યોગાનું શિક્ષણ મોરબી : અહીં નાગનાથ શેરીમાં આવેલા નર્મદા બાલઘર ખાતે શનિવારે સંધ્યા ટાણે બાલઘરના સંચાલક મંડળના સભ્યો સ્ટાફ પરિવાર, વિશિષ્ટ પ્રતિભાશાળી બાળકો, પૂર્વ સ્ટાફ તથા બાલઘરના કેટલાક વર્ષો જૂના હિતેચ્છુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન યોજાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બાલઘરના સંચાલક સી. પી. શાહ અને જ્યોતિબેન શાહના નેજા હેઠળ કરવામાં આવેલ. બાલઘરના ચેરમેન નલિનભાઈ પારેખે દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરેલ. સંગીત શિક્ષક રીયાઝ મીર દ્વારા પ્રતિભાશાળી બાળકો પાસે તૈયાર કરાવેલ પ્રાર્થના તથા સમુહ ગીતો રજૂ થયેલ. આ ગાયનના ઉચ્ચ સ્તરથી સૌ ખૂબજ પ્રભાવિત થયેલ. આ બાળકો પૈકી અવની ગૌસ્વામિ રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના ગાયન ઓડીશનમાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલ છે. ત્યાર બાદ કવિ બિપીન મધુર, પ્રો. રામભાઈ વારોતરિયા, દીપાલીબેન આડેસરા, પંકજભાઈ ભટ્ટ વગેરેએ દીપાવલીની શુભકામના પાઠવેલ. મોરબીવાસીઓ જ્યારે પૈસાની પાછળ દોડનારા લોકોની છાપ ધરાવે છે, ત્યારે બાલઘરની પ્રવૃત્તિ રચનાત્મક અભિગમ દ્વારા મોરબીના ઉગતાં ફૂલડાં જેવાં બાળકોની પ્રતિભા વિકસાવવા માટે સમાજ સેવા તરફની રહી છે, તેવા પ્રકારની નોંધ લઈ તેમના સેવા કાર્યને બિરદાવેલ. મુખ્ય ટ્રસ્ટી અને દાતા ભરતભાઈ મહેતાએ મુંબઈથી વિડીયો કોલીંગ દ્વારા સૌને શુભકામનાઓ પાઠવેલ. બાલઘર સંચાલનમાં જોડાયેલા જયેશભાઈ ઓઝા તથા જે. ડી.ભાઈ જાડેજા ઉપરાંત બાલઘરના શિક્ષક સાગરભાઈ સહિત બાલઘરના સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. અંતમાં સૌ સમુહ ભોજન કરી, હળવી પળો માણી છૂટાં પડયાં. અત્રે એ નોંધનીય છે કે નર્મદા બાલઘરમાં સંગીત-ગાયન, સ્કેટિંગ, ચિત્રકલા, વિજ્ઞાન, યોગાનું શિક્ષણ ખૂબજ નજીવી ફી ( વાર્ષિક રૂ.૧૭૦૦ લાયબ્રેરી ફી સાથે ) દ્વારા અને કુટુંબ ભાવનાથી આપવામાં આવી રહ્યું છે. નર્મદા બાલઘરની શરૂઆત ૧૯૯૯માં ખાસ કરીને મુળ મોરબીના અને હાલ મુંબઈના બીઝનેશમેન ભરતભાઈ મહેતા અને મોરબી જેની કર્મભૂમિ રહી છે એવા સી. પી. ભાઈ શાહના સનિષ્ઠ પ્રયાસોથી થયેલ. સંચાલકના સુદ્રઢ અભિગમના લીધે બાલઘરને સ્ટાફ તથા હિતેચ્છુઓનો સારો સહકાર મળી રહ્યો છે. નર્મદા બાલઘર એ મોરબીના એક નજરાણા સમાન છે. તેના બાળકો વારંવાર પોતાનું હીર જળકાવતાં રહ્યાં છે. અઠવાડીયાના શનિ-રવિ એમ બે દિવસો ચાલતા આ બાલઘરમાં હાલમાં ૨૨૫ બાળકો નોંધાયેલા છે. આ બાલઘરને સમગ્ર મોરબીની પ્રજા ઓળખે તથા સરકાર અને એન.જી.ઓ. તેની માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં રસ લે તો મોરબી માટે બાલઘર વધુ પરિણામલક્ષી બની શકે તેમ છે. [gallery td_select_gallery_slide='slide' size='full' ids='37169,37168']