મોરબી : હાલ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે ૪૦૦૦થી વધુ અધ્યાપકો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ મોરબીની એલ. ઈ. એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. લખધીરજી ઈજનેરી કોલેજના અધ્યાપકોએ આજે તારીખ 17-09- 2022 ના દિવસે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે એકત્રિત થઇ બેનર, પોસ્ટર સાથે સૂત્રોચાર અને સોશિયલ મિડિયા મેસેજ #Padtarprashno થી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ, લાંબાગાળાથી બઢતી અને બદલીની અવગણના, જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચના TA અને DAની માંગણી માટે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરીને પણ પોતાની માંગણી પહોંચાડવા ઉત્સાહપૂર્વક સઘન પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે, રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. અધ્યાપકોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર દ્વારા બાહેધરી અપાયા ઉપરાંત સમય મર્યાદા નક્કી કરવા છતાં પણ સતત અણગણવામાં આવી રહી છે. વર્ષો સુધી રાહ જોવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપી રહ્યા છે. સરકાર સમક્ષ સમયાંતરે રજુ કરાયેલ મુખ્ય પડતર પ્રશ્નોની વાત કરીએ તો 01/01/2016 પછી CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) હેઠળના લાભો આપવાના બાકી છે. આધ્યાયકોને નિયમાનુસાર સહાયક પ્રાદ્યાપક (વર્ગ-2) થી સહ પ્રદ્યાપક (વર્ગ-1) ની બઢતી આપવી. સ્વવિનંતીથી બદલી કરવી. અધ્યાપકોએ સરકારમાં બજાવેલા એડહોક સેવાને સળંગ ગણી લગતા લાભો આપવા સહિતના પ્રશ્નો છે.