તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ આંગડિયા લૂંટમાં સંડોવાયેલા વીંછીયા સહિતના પાંચથી વધુ શખ્સોને સંકજામાં લઇ આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં સફળતા મળી છે. અને ટુક સમયમાં પોલીસે આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાઈ ગયાનું સતાવાર રીતે જાહેર કરશે. મોરબીની આંગડિયા પેઢીના સંજયભાઈ પટેલ અને મનીષભાઈ ગત શુક્રવારે સવારે ખાનગી બસમાં આવેલું આંગડિયા પેઢીનું પાર્સલ લઈને પોતાની કારમાં પરત આવી રહ્યા હતા.ત્યારે દલાવડી સર્કલ પાસે નબર પ્લેટ વગરની કારમાં ઘસી આવેલા ચાર અજાણ્યા બુકાનીધારીઓએ હુમલો કરી બન્ને પાસેથી રૂ.1.19 કરોડ ભરેલા આંગડિયા પાર્સલનું લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.પીની સૂચના અન્વયે આઠ પોલીસની ટીમોએ લૂંટારુઓને પકડવા ભારે દોડધામ આદરી હતી અને આ દિશામાં ચોક્કસ બાતમી મળતા મોરબી પોલીસે રાજકોટ રૂરલ પોલીસની મદદ લઈને વીંછીયા સહિતના પાંચથી સાત જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી આકરી પૂછપરછ હાથ ધરાતા ભેદ ઉકેલાઈ ગયો છે. વધુમાં આ ચકચારી લૂંટ ખાનગી બસના કર્મચારી દ્વારા આપવામાં આવેલી ટિપ્સને આધારે થઇ હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે પોલીસ હાલ લૂંટનો તમામ મુદામાલ કબ્જે લેવા કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે લૂંટ ડિટેક્શન અંગે માહિતી જાહેર કરનાર હોવાનું જાણવા મળે છે.