મોરબીમાં વિધવા બહેનોના સંતાનોના સમૂહલગ્ન યોજાયા મોરબી : ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી અને લાયન્સ કલબ મોરબી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિધવા બહેનોના સંતાનો માટે દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં વરકન્યાને સપ્તપડીની સાથે ટ્રાફિક નિયમોના પાલન માટે આઠમો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. લાયન્સ કલબ મોરબી, ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી, સાઈ મંદિર - હનુમાનજી મંદિર રણછોડ નગર અને પી જી પટેલ કોલેજ મોરબી દ્વારા ગઈકાલે દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમૂહલગ્નમાં વિધવા બહેનોના ૨૪ સંતાનો લગ્નગ્રંથિથી જોડાયા હતા, આ તકે માતા - પિતાની છત્રછાયા ગુમાવનાર એક દીકરીને તેના કાકા- કાકી અને આયોજકો દ્વારા કન્યાદાન અપાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહલગ્નોત્સવમાં ભાગ લેનાર નવદંપતિઓને સંસ્થા દ્વારા અઢળક ભેટ સોગાદો ઉપરાંત સરકારની કુંવરબાઈનું મામેરું સહિતની યોજનાના લાભ આપવા કાર્યવાહી કરવામાં આવી હતી.