મોરબી : અબોલ જીવો માટે સતત સેવા આપતા અને એ માટે ગમે ત્યારે ખડેપગે રહેતા મોરબીના યુવાનો દ્વારા 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર' ખાતે હનુમાનજીના મંદિરના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા પંડિતના હસ્તે શ્રી હનુમાનજી મંદિરના નિર્માણ માટેનું વિધિવત ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મોરબીના ધુનડા રોડ પર આવેલ 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર'ની મુલાકાતે અસંખ્ય જીવ દયા પ્રેમીઓ અવિરત આવતા જતા હોય છે. આ પરિસરમાં હનુમાનજીના મંદિરનુ નિર્માણ થવા જઇ રહ્યું છે. મંદિર નિર્માણનું ખાતમહુર્ત થતા હવે મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ છે. આવનારા દિવસોમાં કર્તવ્ય જીવ દયા કેન્દ્રની મુલાકાતે આવનાર લોકોને હવે દાદાના દર્શનનો લાભ પણ મળશે. 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર'ના સભ્યો દ્વારા પ્રાર્થના કરાઈ હતી હનુમાનજી મહારાજની કૃપા હમેંશા અમારા ઉપર રહે અને અમે અબોલ જીવો માટે અવિરત સતકાર્ય કરતા રહીએ એવી હનુમાનજી મહારાજ અમોને શક્તિ પ્રદાન કરે.