મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજનાના મહાકૌભાંડની તપાસ એસીબીને સોંપાઈ રાજ્યસરકાર દ્વારા એસીબીને તપાસ સોંપવા આદેશ : ક્યાં જિલ્લાના એસીબી ડીવાયએસપી તપાસ કરશે તે હવે નક્કી થશે મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ અંદાજે 20 કરોડથી વધુ રકમના તળાવ મહાકૌભાંડમાં રાજ્ય સરકારે અચાનક જ સમગ્ર તપાસ એસીબી દ્વારા કરાવવા નિર્ણ્ય કર્યો છે જેથી હવે આ તપાસમાંથી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસનો છેદ ઉડી જશે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ,માળીયા,મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા એવા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા સહિતના સાહિત્ય બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે વર્તમાન કાર્યપાલક ઈજનેર ધ્વરા ફરિયાદ નોંધાવવામાં આવતા એ-ડિવિઝન પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ચાર આરોપીને ઝડપી લઈ તપાસ આગળ ધપાવવામાં આવી છે. દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવા એસીબીને તપાસ સોંપવા આદેશ કર્યો છે. જો કે હજુ સુધી ક્યાં જિલ્લાના એસીબી વડા આ પ્રકરણની તપાસ કરશે તે અંગે કોઈ હુકમ કરાયો નથી.