મોરબી : મોરબીની સરકારી ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં બાળકોમાં રહેલી વિજ્ઞાન વિષયક આંતરિક શક્તિઓને ખીલવવા તેમજ બાળવૈજ્ઞાનિકની ખોજના વિચારને વાચા આપવા માટે શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો હતો. એક દિવસીય મેળામાં વિજ્ઞાન,ગણિત તેમજ પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગોના વિદ્યાર્થીઓએ ભાગ લઇ સ્વાસ્થ્ય, સ્વચ્છતા, કૃષિ, આયુર્વેદ, ઉર્જા સ્ત્રોતો, કુદરતી સંસાધનો, રોગ અને ઉપચાર જેવા વિવિધ વિષયો પર પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં વિવિધ વિષયો પર કુલ 37 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળાના કુલ 86 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 'શિક્ષક દિન'ના ઉપલક્ષ્યમાં દરેક વર્ગમાં શિક્ષણ કાર્ય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ જ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જ આચાર્ય, શિક્ષકો અને સેવક સહિતના સ્ટાફનો રોલ ભજવીને આજના દિવસને ચરિતાર્થ કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય મેરજા સાહેબ, માધ્યમિક વિભાગના સુપરવાઈઝર મેવા સાહેબ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝર લાઠીયા સાહેબ અને વિજ્ઞાન શિક્ષક વિડજા સાહેબ, ગાંભવા સાહેબ, તન્ના સાહેબ સહિત ગણિત- વિજ્ઞાન સમિતિના સભ્યો તેમજ સમગ્ર શિક્ષકગણે ખાસી જહેમત ઉઠાવી હતી.આ તકે આચાર્ય મેરજા સાહેબે દરેકને શુભકામનાઓ પાઠવીને, વિજ્ઞાનમેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતુ.