છલકાતી ભૂગર્ભ ગટરના પાપે દરરોજ હજારો લોકો ગટરના પાણી ખૂંદવા મજબુરમોરબી : નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા જઈ રહેલા મોરબી શહેરની દુર્દશા આજે પણ દયનીય હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. મોરબીના હાર્દ સમા નહેરુ ગેઇટ ચોક પાસે લાંબા સમયથી ભૂગર્ભ ગટરના પાણી છલકાતા હોય દરરોજ હજારો લોકોને આ ગંદા પાણી ખૂંદવા મજબુર બનવું પડે છે.મોરબીના નહેરુ ગેઇટ ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા કાયમી બની છે ત્યારે નહેરુ ગેઇટનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, નહેરુ ગેઇટ ચોક પાસે જ રસ્તા પર તળાવની જેમ ગટરનું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. નહેરુ ગેટ ચોક પાસે આવેલી સોની બજાર મુખ્ય બજાર કહેવાય છે. અહીંયાથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહનચાલકો અવર-જવર કરતાં હોય છે. ત્યારે આ તમામ નાગરિકોને હાલ આ ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે.વધુમાં ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતું હોય દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોવાથી દુકાનદારોને પોતાના ધંધા વ્યવસાયમાં પણ મુશ્કેલી પડી રહી છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે પણ પાલિકા દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોની માંગ છે કે, તાત્કાલિક આ ગટરના પાણીનો નિકાલ કરી મુખ્ય બજારની સાફ-સફાઈ કરવામાં આવે.