ગળામાં ઇન્ફેક્શન હોવાથી તકેદારીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરાયો મોરબી : મોરબીથી શ્રમિકોને વતન જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે આ ટ્રેનમાં સુરેન્દ્રનગરનો આરપીએફનો જવાન મોરબીથી ટ્રેનમાં બેસીને સુરક્ષા બંદોબસ્ત માટે સુરત સુધી ગયો હતો અને ત્યાંથી આજે પરત આવતા આ યુવાનને તકેદારીના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. આ બનાવની રેલવે વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીમાં ફસાયેલા બહાર રાજ્યોના હાજરો શ્રમિકોને વતન પહોંચાડવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને યુપી, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં મોરબીના શ્રમિકોને પહોંચાડવા માટે હમણાંથી સતત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનો એક આરપીએફનો જવાન થોડા દિવસો પહેલા આ શ્રમિકો માટેની ટ્રેનમાં સુરક્ષા બંદોબસ્ત માટે ટ્રેનમાં બેસીને સુરત સુધી ગયો હતો અને આજે તે મોરબી પરત આવ્યો છે. જોકે આ આરપીએફના જવાનને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેનું મેડિકલ પરીક્ષણ કરાતા તેને કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા.પરંતુ તકેદારીના ભાગરૂપે આરપીએફના જવાનને રેલવે લાઈન ક્વાર્ટરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.